
જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા ભકતો ઘરબેઠા મેળવી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગે સાથે મળીને વધુ એક સેવાનું આયોજન કર્યુ છે. આ સેવાથી દેશભરમાં કાર્યકરત દોઢ લાખ પોસ્ટ ઓફિસમાંથી રૂ.251નો મની ઓર્ડર કરવાથી સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરબેઠા મેળવી શકશે. આ સેવાનું આજે સોમવારે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
- પ્રવીણ લહેરીએ ઇ-સીસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો
- રૂ. 251ના મનીઓર્ડરથી મેળવી શકાશે પ્રસાદ
- પ્રસાદના બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામ જેટલો પ્રસાદ રહેશે
ગીર-સોમનાથ: જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભક્તો ઘરબેઠા ભકિત કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવાઈ છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારે ઇ-લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અઘિકારીઓ હાજર રહ્યા હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.

દેશભરમાં ગ્રામ્ય અને શહેરમાં પહોંચશે પ્રસાદી
સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતોને ઘરબેઠા પ્રસાદી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ સાથે નવી સેવાનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી દોઢ લાખ પોસ્ટ કચેરીઓ કાર્યરત છે. દેશના કોઇપણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહાદેવના ભકતો પોસ્ટલ સેવા મારફત રૂ.251નો મનીઓર્ડર કરશે એટલે ત્રણથી ચાર દિવસમાં તે ભાવિક ઘરબેઠા સોમનાથ મહાદેવનો પ્રસાદ મેળવી શકશે. પ્રસાદના બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામ જેટલો પ્રસાદ રહેશે. હાલ આ સેવા દેશ પુરતી મર્યાદીત છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં વસતા શિવભકતો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાની વિચારણા ચાલી રહી છે.